ઉમરગામની ચકચારી ઘટના: અઢી વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
Updated: Mar 27th, 2025
Valsad News: વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા ગામે નિલકંઠ એપાર્ટમેન્ટના એક ફલેટમાંથી આજે(13 માર્ચ) ગુરૂવારે સવારે દંપતિ અને અઢી વર્ષીય માસૂમ બાળકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પંથકમાં ભારે ચકચાર સાથે સનસનાટી ફેલાઇ ગઇ હતી. પરિવારના ત્રણેય સભ્યોના મોતનું કારણ હાલ બહાર આવ્યું નથી પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ કારણ બહાર આવી શકશે. પરિવારે આપઘાત કર્યો હોય તો કયા કારણસર પગલું ભર્યુ તે પણ તપાસનો વિષય બન્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયા બાદ એફએસએલની મદદથી તપાસ આદરી હતી.
પોલીસ અને ઘટના સ્થળેથી મળતી વિગત મુજબ, ઉમરગામના સોળસુંબા ગામે ક્રિષ્ણાનગરમાં નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા શિવમ વિશ્વકર્મા (ઉ.વ.28) પત્ની આરતી વિશ્વકર્મા (ઉં.વ.25) અને અઢી વર્ષિય પુત્રની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. એક સાથે પરિવારના ત્રણ સભ્યોની લાશ મળી આવતા પંથકમાં ભારે ચકચાર સાથે ખળભળાટ મચી ગયો હતો. રહીશો એકત્રિત થયા બાદ પોલીસને જાણ કરાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
Courtesy: Gujarat Samachar