GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Updated: Mar 29th, 2025
Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે રાજયના હજારો નિવૃત્ત સરકારી કર્મચારીઓને અસર કરતાં અને બહુ મોટા ઐતિહાસિક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, જનરલ પ્રોવિડન્ટ ફંડ(GPF)ના લાભો માત્ર પહેલી એપ્રિલ 1982 પછીની નોકરીની સેવાના સમયગાળા માટે જ લાગુ પડશે. એટલે કે, સરકારે લાગુ કરેલી યોજના મુજબ જ જીપીએફના લાભો પહેલી એપ્રિલ 1982 પછીની સેવા માટે જ મળી શકે, તે પહેલાંના સમયગાળા માટે નહી. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે નિવૃત્ત કર્મચારીઓને તેમની મૂળ ભરતી(નિમણૂંક) તારીખથી જીપીએફના લાભો આપવા અંગેના સીંગલ જજના હુકમને અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજ્ય સરકારના હજારો નિવૃત્ત કર્મચારીઓને અસર થશે.
સરકારનો 600 કરોડો રૂપિયાથી વધુનો આર્થિક બોજો ઘટશે
ગુજરાત સરકાર દ્વારા કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલ મંજૂર રાખતા હાઇકોર્ટે આ બહુ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. નિવૃત્ત કર્મચારીઓને તેમની સંપૂર્ણ નોકરી દરમિયાન જનરલ પ્રોવીડન્ટ ફંડ(જીપીએફ)નો લાભ આપવા અંગેના એટલે કે, નિમણૂંક તારીખથી સળંગ નોકરી ગણી જીપીએફના લાભો આપવા અંગેના સિંગલ જજના હુકમને પડકારતી રાજ્ય સરકારની અપીલમાં હાઇકોર્ટ સમક્ષ બહુ મોટો કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જેમાં હજારો નિવૃત્ત સરકારી કર્મચારીઓ જેઓ મોટાભાગે વર્ષ 2006 પહેલાં નિવૃત્ત થયા હતા, તેઓ તેમની મૂળ ભરતી(નિમણૂંક)ની તારીખથી જીપીએફના લાભો મેળવવા હકદાર ગણી શકાય કે નહીં?
Courtesy: Gujarat Samachar