અમિત શાહે રાષ્ટ્રપતિ મુર્મૂને પહલગામ હુમલાની આપી માહિતી, MEAમાં અનેક દેશોના રાજદૂતોની બેઠક
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકારે કડક પગલા ઉઠાવવાનું શરુ કરી દીધું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણય લીધા બાદ હવે આજે ગુરુવારે (24 એપ્રિલ) વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાના સંદર્ભમાં તેને મહત્ત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહે પહલગામ હુમલાની માહિતી રાષ્ટ્રપતિ મુર્મૂને આપી હતી.
તેની સાથો સાથ વિદેશ મંત્રાલયમાં પણ એક મહત્ત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમાં અનેક દેશોના રાજદૂતોને બોલાવાયા છે. જેને લઈને જર્મની, જાપાન, પોલૅન્ડ, બ્રિટન અને રશિયા સહિત તમામ દેશોના રાજદૂત સાઉથ બ્લોક ખાતે વિદેશ મંત્રાલયના કાર્યાલય પહોંચ્યા છે. આ રાજદૂતોને પહલગામ આતંકવાદી હુમલાની વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે અને ભારતની સુરક્ષા ચિંતાઓથી અવગત કરાઈ રહ્યા છે.
Source: Gujarat Samachar | Language: Gujarati