યુપીએસસી,જીપીએસસી પરીક્ષા માટે આર્થિક રીતે નબળા પણ તેજસ્વી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ
Updated: Mar 29th, 2025
વડોદરાઃ આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ યુપીએસસી અને જીપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી શકે તે માટે ડો.હેડગેવાર જન્મશતાબ્દિ સેવા સમિતિ દ્વારા સંચાલિત સમકલ્પ ગુરુકુલમ સંસ્થા વડોદરામાં ૨૦૧૮થી નિઃશુલ્ક કોચિંગ આપે છે.
તેમાં તાલીમ લેનારા ૧૫ જેટલા વિદ્યાર્થીઓ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને સરકારમાં ફરજ બજાવી રહ્યા છે.ત્રણ વિદ્યાર્થીઓ યુપીએસસીમાંે ઈન્ટરવ્યૂ સ્ટેજ સુધી પહોંચ્યા છે.આ વર્ષે અહીંયા અભ્યાસ કરનારા ૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓ જીપીએસસીની પરીક્ષા આપશે.
શહેરના મનુભાઈ ટાવરના આઠમા માળે ચાલતા સમકલ્પ ગુરુકુલમના માર્ગદર્શક પ્રદિપ અગ્રવાલ અને કાનજીભાઈ હડિયાએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, આખા દેશમાં સમકલ્પ ગુરુકુલમના વર્ગો ૧૯૮૬થી ચાલે છે.આ સંસ્થામાં કોચિંગ મેળવીને આખા દેશમાંથી ૯૫૦૦ વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી ચૂકયા છે.
Courtesy: Gujarat Samachar