જમશેદપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હત્યા બાદ તણાવ, ખેતરમાંથી મળ્યો મૃતદેહ
Updated: Apr 21st, 2025
GS TEAM
Karni Sena Leader Vinay Singh Shot Dead in Jharkhand : રવિવારે ( 20 એપ્રિલ ) રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઝારખંડ પ્રદેશના પ્રમુખ વિનય સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતી. વિનય સિંહની હત્યા બાદ કરણી સેનાના કાર્યકર્તાઓએ ડિમના રોડ તથા નેશનલ હાઇવે 33 પર દેખાવો કરતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી.
વિનય સિંહ એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા, તેઓ જેવા જ તેમની ગાડીમાંથી નીચે ઉતર્યા કે અચાનક જ તાબડતોબ ફાયરિંગ કરાઇ અને ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે હુમલાખોરો ઘટના બાદ બાઇક લઈને ભાગી ગયા હતા. કયા કારણે હત્યા કરાઇ તે અંગે હજુ સુધી પોલીસને કોઈ પૂરાવા મળ્યા નથી. પોલીસે જણાવ્યું હતું કે વિનય સિંહનો મૃતદેહ નેશનલ હાઇવેથી 250 મીટર દૂર એક ખેતરમાંથી મળ્યો. તેમના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ અને એક સ્કૂટી તથા મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસને સૂચના આપવામાં આવી હતી કે વિનય સિંહ સવારે 11.30 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
Source: Gujarat Samachar | Language: Gujarati