ખુલ્લા કુવા સિહો માટે મોતના કૂવા : કુકસવાડામાં 2 સિંહબાળના કુવામાં પડવાથી મોત
Updated: Mar 28th, 2025
શિકાર બંધ થયા પણ કમોત બંધ થવાનું નામ લેતું નથી! : દરેક સિંહો પર બાજ નજર રાખવામાં આવતી હોવાના વિધાનસભાના દાવાઓ વચ્ચે ટપોટપ થતાં કમોતથી સિંહ પ્રેમીઓમાં રોષ
જૂનાગઢ, : માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામમાં બે સિંહબાળના ખુલ્લા કૂવામાં પડવાથી કમોત થયા હતા. કુકસવાડા જવાના ડામર રસ્તાની બાજુમાં આવેલા ખેતરના ખુલ્લા કૂવામાં પાણી ભરેલું હતું અને પાણીમાં ડૂબી જવાથી સિંહના મોત થયાં હતાં. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે બંને સિંહબાળના મૃતદેહને બહાર કાઢી પીએમ સહિતની પ્રક્રિયા હાથ ધરી હતી.
સિંહો માટે ખુલ્લા કુવા, વીજ કરંટ સૌથી વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે. માળીયાહાટીના પંથકમાં થોડાક સમય પહેલા એકી સાથે ત્રણ સિંહના વીજ કરંટથી મોત થયાની ઘટના બની હતી. ત્યારબાદ વધુ એક વાર બે સિંહ બાળ ખુલા કૂવામાં પડી જતા કમોતને ભેટયા છે. ચોરવાડ નજીક આવેલા કુકસવાડા ગામની સીમમાં પાણી ભરેલા ખુલ્લા કૂવામાં ચારથી પાંચ માસના બે સિંહ બાળ પડી ગયા હતા. આ સમગ્ર મામલે ગીર પશ્ચિમના ડીસીએફ પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે ગત તા. 9 માર્ચના બે સિંહ બાળ કુવામાં પડી જવાથી મોત થયું હતું. ખુલ્લા કૂવામાં પડી જતા તેના મોત થયા હતા. આ અંગેની ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે બંને સિંહબાળના મૃતદેહને બહાર કાઢી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગને જ્યારે જાણ થઈ ત્યારે 8 થી 10 કલાક જૂનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું.
Courtesy: Gujarat Samachar