આજે વિશ્વ રંગભૂમિ દિવસ: લોકકલા ભવાઈ અને તેના કલાકારો પોતાનું અસ્તિત્વ ટકાવવા સંઘર્ષરત
Updated: Mar 27th, 2025
World Theatre Day: સાણંદના બોળ ગામમાં સમી સાંજે ઈન્ટરનેટના જમાનામાં પણ ભવાઈના ભૂંગળ દ્વારા જાહેરાત થઈ ગઈ છે. સાંજ પડતાં જ ગામના ચોકમાં માઈકના ટેસ્ટિંગની સાથે, દેશી ઢબના મેક અપ, વસ્ત્રાભૂષણ સાથે રાજવી પરિવેષમાં વિવિધ પાત્રો પડદા પાછળ જોઈ શકાય છે અને લોકકથા રાનવઘણ પ્રસ્તુત થાય છે.
ખમીર અને ખુમારીથી ભરેલી વાર્તાઓ રજૂ થાય છે
આજે પણ સૌરાષ્ટ્રના ઝાલાવાડ, હાલાર અને ગોહિલવાડમાં ભવાઈના સ્વરુપમાં સૌરાષ્ટ્રની લોકકથાઓ જેવી કે રાનવઘણ, જેસલ-તોરલ, રામાંડલિક, વીર માંગડાવાળો, રાવત રણશી અને ખેમડિયો કોટવાળ જેવી ખમીર અને ખુમારીથી ભરેલી વાર્તાઓ રજૂ થાય છે. આ વાર્તાઓમાં ખમીરવંતા સંવાદો સાથે તલવારો ખેંચાય છે, શરમ સંકોચના ઓવારણાં સાથે ઓઢણીઓ લહેરાય છે ને સાથે સાથે તાળીઓનો વરસાદ પણ થાય છે. આ વાત છે સૌરાષ્ટ્રમાં ભવાઈના સ્વરૂપમાં ગામડે ગામડે લોક સંસ્કૃતિનું સિંચન કરતો ભવૈયા સમાજની.
Courtesy: Gujarat Samachar