આજથી ચૈત્રી નવરાત્રિ : આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે, અંબાજી-પાવગઢમાં ભક્તો ઉમટશે
Updated: Mar 30th, 2025
Chaitri Navratri 2025 : આજથી ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ચૈત્રિ નવરાત્રિનો પણ પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના માઇ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.
ઘટ સ્થાપન માટે સવારે 8:10થી 9:50, સવારે 11:50થી 12:45નું મુહૂર્ત : પાંચ એપ્રિલે દુર્ગાષ્ટમી
ચેત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે સૂર્યોદય વ્યાપીની એકમ તીથિ 12:50 સુધી છે અને સાંજે 5:54થી વૈઘુતિ યોગ શરૂ થાય છે. ઘટ સ્થાપનનો સમય આજે સવારે 8:10થી 9:50 અને સવારે 11:50થી બપોરે 12:45 છે. શક્તિપીઠ અંબાજીમાં આજે ઘટસ્થાપનનો સમય સવારે 9:15ના છે. આ વર્ષે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે છે. ચૈત્ર સુદ આઠમ આગામી પાંચ એપ્રિલ-શનિવારના છે જ્યારે 6 એપ્રિલના ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહૂતિ થશે.
Courtesy: Gujarat Samachar